• દ્વારકેશ ડેરી પાર્લરમાં ગેરકાયદે રાંધણ ગેસના સિલિન્ડરનું વેચાણ, જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી પર સવાલો
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
કલોલ તાલુકાના સાંતેજ ગામે આવેલી દ્વારકેશ ડેરી પાર્લર નામની દુકાનમાં ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડર ગેરકાયદે વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તેમની ટીમ સાથે સ્થળ પર તપાસ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે ગેરકાયદે વેચાણ થતા રાંધણ ગેસના કેટલાક સિલિન્ડર કબજે કર્યા હતા અને પાર્લરને સીલ મારી દીધું હતું. વધુ તપાસ દરમિયાન, નજીકના એક ગોડાઉનમાંથી ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢીને નાની બોટલોમાં ભરીને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું હતું. આ ગેરકાયદે વેપારનો પર્દાફાશ થયો હોવા છતાં, આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા માત્ર મામૂલી કાર્યવાહી કરીને ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો અને મીડિયા વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા પુરવઠા અધિકારી તેમના નજીકના કેટલાક કર્મચારીઓ અને મીડિયાના વ્યક્તિઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, તેમણે ગેરકાયદે ગેસ વેચાણ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર વ્યવહારિક સમજૂતી કરીને મામલો ઉકેલી લીધો હોવાની હવા ફેલાઈ છે. આ ઘટનાએ જિલ્લા પુરવઠા અધિકારીની નિષ્પક્ષતા અને કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. આ મામલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે, અને તેઓ આ ગેરકાયદે વેપારના મૂળ સુધી તપાસ કરવાની માગ કરી રહ્યા છે.
• જિલ્લા પુરવઠા અધિકારીએ ફોન ઉપાડવાની પણ તસ્દીના લીધી
આ ઘટનાને લઈને ‘અપના મિજાજ ન્યૂઝ’ દ્વારા સતત બે દિવસથી જિલ્લા પુરવઠા અધિકારી તેમજ કલોલના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્વેતા પંડ્યા સાથે મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરીને સત્ય અને વિગતો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, બંને અધિકારીઓએ તેમના ફોન રિસીવ કર્યા ન હોવાથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન મળી શક્યું નથી. આ ઘટનાએ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અને ગેસ વેચાણની દેખરેખની વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
• ગેરકાયદે રિફિલિંગમાં અકસ્માત થાય તો જવાબદારી કોની?
ગેરકાયદે ગેસ વેચાણની આ ઘટના એક ગંભીર બાબત છે, કારણ કે આવા વેપારથી માત્ર સરકારી નિયમોનું ઉલ્લંઘન જ નથી થતું, પરંતુ ગેસના ગેરકાયદે રિફિલિંગથી મોટી દુર્ઘટનાઓનું જોખમ પણ વધે છે. ગુજરાત સરકારના ખોરાક, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો વિભાગ હેઠળ આવતી જિલ્લા પુરવઠા કચેરીની જવાબદારી છે કે આવા ગેરકાયદે વેપાર પર નિયંત્રણ રાખવામાં આવે. જોકે, આ કેસમાં થયેલી કથિત ઢીલી કાર્યવાહીએ આ વિભાગની કામગીરી પર શંકા ઉભી કરી છે.
•બનાવ અંગે નિષ્પક્ષ તપાસ થશે કે પછી…
સાંતેજ ની ઘટના અંગે સ્થાનિક નાગરિકો અને વેપારીઓનું કહેવું છે કે આવા ગેરકાયદે વેપાર લાંબા સમયથી ચાલી રહ્યા હોવા છતાં, અધિકારીઓ દ્વારા તેની સામે કડક પગલાં લેવામાં આવતાં નથી. આ ઘટનાએ સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારના આક્ષેપોને વધુ હવા આપી છે. હવે જોવાનું રહે છે કે આ મામલે ઉચ્ચ સ્તરે કોઈ તપાસ થશે કે પછી આ ઘટના પણ અન્ય ઘટનાઓની જેમ ફાઈલોમાં દબાઈ જશે.