Apna Mijaj News
'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?

ગાંધીનગરની ‘કદંબ ડાયગ્નોસ્ટિક’ ૧નં.ની ‘ખોટાડી’ લેબોરેટરી!

ગાંધીનગરના ઘ૦૨ પાસે આવેલી ‘કદંબ ડાયગ્નોસ્ટિક’માં ચાલતાં લોલમલોલનો પર્દાફાશ દેવાંશ લેબ.ના રિપોર્ટે કરી નાખ્યો

કદંબ લેબ. દ્વારા દસ વર્ષીય દર્દીનો રિપોર્ટ ‘સબ સલામત’નો અપાયો, તબીબોએ પણ રિપોર્ટ આધારે સારવાર આપી

અંતે બાળ દર્દીને કણસતી હાલતમાં તેનો પરિવાર દેવાંશ લેબોરેટરી લઈ ગયો જ્યાં તેને ૧૧ MMનું એપેન્ડિક્સ હોવાનું જાહેર થયું

• કદંબ લેબોરેટરીના ‘લડખડાયેલા’ રિપોર્ટના ભોગે દસ વર્ષીય બાળકને એપેન્ડિક્સના દર્દથી આખી રાત ‘કણસવું’ પડ્યું

અપના મિજાજ ન્યુઝ: સંજય જાની

        ગાંધીનગરમાં રહેતા એક વિપ્ર પરિવારના દસ વર્ષીય બાળકને પેટના ભાગે અસહ્ય દુઃખાવો ઉપાડતાં તેને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ પરિવારને સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સોનોગ્રાફી વિભાગ તેનો સમય પૂર્ણ થયે બંધ હોઈ પરિવાર દર્દથી કણસતા બાળકને શહેરના ઘ ૦૨ વિસ્તારમાં આવેલી ‘કદંબ ડાયગ્નોસ્ટિક’ નામની લેબોરેટરીમાં લઈ ગયા હતાં. જ્યાં તેની સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ નીલ (સબ સલામત) નો આવ્યો હતો. જે રિપોર્ટ જોઈને સિવિલ હોસ્પિટલના તબીબે કરવી પડતી સારવાર આપી દર્દીને ઘરે મોકલી દીધા હતા.
આ છે “કદમ ડાયગ્નોસ્ટિક” લેબ.નો ખોટો રિપોર્ટ
      સિવિલ હોસ્પિટલના તબીબની સલાહ લઈ પરિવાર બાળકને લઈને ઘરે પહોંચ્યા હતાં.પરંતુ મોડી રાત્રે બાળકને પુનઃ અત્યંત કષ્ટદાયક પીડા ઉપડતાં પરિવાર વ્યથિત હાલતમાં બાળકને લઈને શહેરમાં આવેલી ‘દેવાંશ લેબોરેટરી’ માં પહોંચ્યો હતો. જ્યાં બાળકની સોનોગ્રાફી કરાવતા તેને અંદાજે 90 થી 95 ટકા જેટલું એટલે કે ૧૧ MMનું એપેન્ડિક્સ હોવાનો રિપોર્ટ જાહેર થતાં કદંબ લેબોરેટરીના લોલમલોલનો પણ પર્દાફાશ થયો હતો. શરીરમાં એપેન્ડિક્સના અસહ્ય કષ્ટ સાથે બાળકને ફરી પાછો સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેનું ઓપરેશન કર્યું હતું. સિવિલમાં તબીબોએ કરેલી શસ્ત્રક્રિયા બાદ દસ વર્ષના માસુમ બાળકને દર્દમાંથી છુટકારો મળ્યો હતો. જોકે આજે ત્રણ દિવસ બાદ પણ હજુ તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ છે દેવાંશ લેબ.નો એપેન્ડિક્સ હોવાનો ખરો રિપોર્ટ

તંત્ર દ્વારા ઉઘાડ પગાઓને ઠપકારી દેવાતાં લેબોરેટરીના લાઈસન્સો દર્દીઓને લૂંટવાનું માધ્યમ બની ગયા છે?!

        ગાંધીનગરમાં આવેલી ‘કદંબ ડાયગ્નોસ્ટિક’ લેબોરેટરીએ સોનોગ્રાફીનો રિપોર્ટ સો ટકા ખોટો આપતા એક માસુમને એપેન્ડિક્સના દર્દથી આખી રાત કણસવું પડ્યું હતું. જોકે અન્ય દેવાંશ નામની લેબોરેટરીનો રિપોર્ટ એપેન્ડિક્સના દર્દ સાથે સો ટકા સાચો આવતાં જન માનસમાં એવું ચિત્ર ઉપસ્યું છે કે, દર્દ પરીક્ષણ માટે લેબોરેટરી ટેક્નિશિયનના પ્રમાણપત્રો કે લેબોરેટરી ચલાવવા માટેના લાઈસન્સો જે તે જવાબદાર તંત્ર આડેધડ આપતું હશે?! સંભવત એટલે જ આવા કદંબ લેબોરેટરીના કહેવાતા ઉઘાડ પગા ટેક્નિશિયનો માત્ર રૂપિયા કમાવવાની લાલચમાં આડેધડ દર્દ પરીક્ષણોના રિપોર્ટ દર્દીઓને કે તેમના પરિવારજનો પધરાવી દેતાં હોય છે.

કથિત ઉઘાડ પગા ટેક્નિશિયનો મીડિયા સાથે વાત કરવા પણ તૈયાર ન થયા, સત્ય તો ઉજાગર કરવું જ પડશે

       શરીરમાં કોઈ બીમારીથી પીડિત વિપ્ર પરિવારમાંથી આવતાં ગાંધીનગરના રહીશ જતીનભાઈ શુક્લના ૧૦ વર્ષીય પુત્રની સોનોગ્રાફી ‘કદંબ ડાયગ્નોસ્ટિક‘ નામની લેબોરેટરીમાં કરવામાં આવી હતી જેનો રિપોર્ટ સબસલામત એટલે કે નીલ આવ્યો હતો. પરંતુ માસુમ બાળક એપેન્ડિક્સની બીમારીથી પીડાતો હોવાનો રિપોર્ટ અન્ય લેબોરેટરીએ આપ્યો. જેની વાસ્તવિકતા શું છે તે જાણવા માટે ‘અપના મિજાજ ન્યુઝ’ દ્વારા ‘કદંબ ડાયગ્નોસ્ટિક’ના કહેવાતા સંચાલક સાથે વાત કરવા મોબાઈલ ફોન પર પ્રયાસ કર્યો હતો. પરંતુ લેબોરેટરીમાં કોઈ ઘનશ્યામ પટેલે ફોન ઉપાડીને સંચાલક વ્યાસ સાહેબ લંચ કરવા ગયા છે તેવું બપોરે 3:30 વાગે કહેવામાં આવ્યું હતું. જે બાદ એકાદ કલાક પછી ફોન કર્યો તો પણ ‘કદંબ ડાયગ્નોસ્ટિક’ના કહેવાતા વિપ્ર પરિવારમાંથી આવતા સંચાલકે પોતાની વાત પણ રજૂ કરવાની તસ્દી લીધી ન હતી. જેથી એમ માની શકાય કે ‘ચોરના પગ કાચા હોય છે’. એટલે દાળમાં કંઈક કાળું હશે. જેથી તંત્રએ પણ આ અંગે સત્ય ઉજાગર કરવું જ રહ્યું.
આ છે ખોટો રિપોર્ટ આપ્યા પછી પણ 1500 રૂ. વસૂલ્યાની પહોંચ

ગાંધીનગરમાં લેબોરેટરી સંચાલકો દર્દીઓને આડેધડ લૂંટી રહ્યા હોવાની અનેક ફરિયાદો છતાં તંત્ર ચૂપ કેમ છે?

        પાટનગરમાં બીમાર પડવું અને લેબોરેટરી ટેસ્ટ કરાવવી એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે માથામાં ‘ઘણ’ મારવા બરાબર બાબત ઉભરીને સામે આવી છે. અનેક લોકોએ પોતાના મંતવ્યો આપતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સુવિધા છે પરંતુ ક્યારેક અહીંના તબીબો દ્વારા ખાનગી લેબોરેટરીના રસ્તા બતાવી દેવામાં આવતાં હોય છે. જ્યાંથી લેબોરેટરી રિપોર્ટ લઈને સિવિલમાં આવવાનું રહે છે અને પછી જ સારવાર શરૂ થાય છે. જો જનતાની વાત સાચી હોય તો આ અંગે સિવિલ હોસ્પિટલમાંથી દૈનિક કેટલા લોકોના લેબોરેટરી પરીક્ષણ થાય છે? અહીંના તબીબો દ્વારા કેટલા દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં મૂકવામાં આવે છે? ખાનગી લેબોરેટરીના કેટલા પરીક્ષણો ઉપર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી? તે અંગેની તપાસ આરોગ્ય મંત્રી અને સચિવ દ્વારા કરવામાં આવે તો મોટું કૌભાંડ ખુલવાની શક્યતા પણ જાણકાર લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Related posts

કલોલ પાલિકા પ્રમુખ ગ્યા,નવા (ઈ.) પ્રમુખ આવશે!

ApnaMijaj

નરોડા પોલીસ પ્રજાની મિત્ર નથી!

ApnaMijaj

સરકાર, હવે તો શોષણ બંધ કરો!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!