Apna Mijaj News
Otherમહાન કાર્ય

સમૌ ગામે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે

દેશનું ભવિષ્ય પુસ્તકાલયમાં ઘડાય છે: આપણી ભાષા અને સંસ્કૃતિને ઓળખવાનો પુસ્તકાલય અવસર આપે છે

ગાંધીનગર જિલ્લાના સમૌ ખાતે નવનિર્મિત શહીદ સ્મારક અને પુસ્તકાલયનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ

દેશનું ભવિષ્ય સમૌ ખાતે ઇસ 1857 ની ક્રાંતિમાં સહભાગી થયેલા બાર શહીદવીરોને અંગ્રેજો એ ફાંસી આપી હતી તેમની સ્મૃતિને અકબંધ રાખતા નવનિર્મિત સ્મારકનું લોકાર્પણ કરાયું

ગાંધીનગર:

     કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામ ખાતે રૂપિયા બે કરોડ નાં ખર્ચે નવનિર્મિત થયેલા શહીદ સ્મારક અને પુસ્તકાલય ભવનનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે.
            અત્રે ઉલ્લેખનીય છે કે સમૌ ગામની ધરતી પર ઈસ 1857 ની ક્રાંતિમાં સહભાગી થયેલા મગન ભુખણ અને દ્વારકાદાસ સહિતના બાર શહીદ વીરોને અંગ્રેજોએ ફાંસી આપી હતી. આ શહીદોની સ્મૃતિને અકબંધ રાખતા ભવ્ય સ્મારકનું સમૌ ખાતે નિર્માણ કરાયું છે. આ શહીદ સ્મારકને રાષ્ટ્રચેતનાની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખનારી દીવાદાંડી સમાન ગણાવી ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યપરાયણ બનવાની આ સ્મારક સતત પ્રેરણા આપશે. 
            આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ નાગરિકોને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી. હું લાઇબ્રેરીનો માણસ છું. મારા ઘડતરમાં પુસ્તકોની વિશેષ ભૂમિકા રહી છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે દેશનું ભવિષ્ય પુસ્તકાલયમાં ઘડાય છે. તેમણે ઉમેર્યું હતું કે આપણી ભાષા અને સંસ્કૃતિને ઓળખવાનો પુસ્તકાલય અનેરો અવસર આપે છે. પુસ્તકાલયમાં ભગવદ્ગોમંડળનાં ભાગ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભાષાની સમૃદ્ધિથી બાળકો અને યુવાનો દૂર થઈ રહ્યા છે ત્યારે વાંચનથી જ્ઞાન સંપન્ન બનવાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતમાં વાંચે ગુજરાત અભિયાન ઉપાડ્યું હતું અને રાજ્યના પુસ્તકાલયોને અનેકવિધ પુસ્તકોથી સંપન્ન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાનની સફળતા હોય કે વિધાનસભા અને સંસદમાં મહિલાઓને 33% અનામત આપવાનો સંકલ્પ હોય પ્રધાનમંત્રી શ્રી ના માર્ગદર્શન હેઠળ દેશનો વિકાસ નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી એ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે વર્ષ 1857 થી વર્ષ 1947 સુધીના દેશના આઝાદીના જંગમાં સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના અમૂલ્ય પ્રદાનથી ભાવિ પેઢીને પ્રેરણા મળે અને શહીદોના ઇતિહાસને પુનર્જીવિત કરીને શહીદ સ્મારકોનાં સ્વરૂપે ચેતના કેન્દ્રોનું દેશભરમાં નિર્માણ કર્યું છે. 
          કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ યુવાનોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે સરકાર સુવિધાઓ ઊભી કરે છે પરંતુ તેની જાળવવાની ચિંતા યુવાનોએ કરવી પડે તેમણે શહીદ સ્મારક સંકુલની જાળવણી માટે યુવાનોને આગળ આવવા અનુરોધ પણ કર્યો હતો.
           માણસાના ધારાસભ્યશ્રી જે.એસ.પટેલે મહાનુભવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, દેશની મહામૂલી આઝાદી દરમિયાન અનેક શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે. પરંતુ કેટલાય શહીદ વીરોના નામ, ફોટા કે પરાક્રમોથી આપણે અજાણ છીએ. સમૌ ગામમાં 12 શહીદ વીરોને ફાંસીની સજા અપાય, તે વાતથી અનેક સ્થાનિક લોકો અજાણ હતા, પરંતુ આજે શહીદ સ્મારક સમૌ ગામમાં નિર્માણ થવાથી સ્થાનિક લોકોથી લઈ અનેક લોકો આ વાતથી વાકેફ થયા છે.તેમજ આજની યુવા પેઢીને મહામૂલી આઝાદી કેવી રીતે મળી છે, તેનાથી વાકેફ બનશે.તેમજ યુવા પેઢીમાં દેશભાવ ઉજાગર કરવા માટે પણ મહત્વની બની રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માણસાના વિકાસમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનો સહકાર છે. જેની ફળશ્રુતિ રૂપે આજે માણસામાં વિકાસના અનેક કામો પ્રગતિ હેઠળ છે અથવા પૂર્ણતાને આરે આવ્યા છે.
               આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું સ્થાનિક આગેવાનો ગ્રામજનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયાએ મહાનુભાવનો આભાર વ્યક્ત કર્યો હતો 
      આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, મહેસાણાના સાંસદ શ્રી શારદાબેન પટેલ, દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, જિલ્લા પંચાયય પ્રમુખ શ્રીમતી શિલ્પા પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિત ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલ પટેલ, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌતમ સહિત આમંત્રિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બુટલેગરો ફરી સળવળ્યા

ApnaMijaj

તિલક નગર વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા .

Admin

વોટ્સએપે આપી નવા વર્ષની ગિફ્ટ, હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો ચેટ, જાણો સંપૂર્ણ વિગત

Admin

Leave a Comment

error: Content is protected !!