• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ લેવલે સરપ્રાઈઝ વિઝિટ કરીને અધિકારીઓને ચોંકાવી રહ્યા છે ત્યારે હવે નવું પગલું
• છેવાડાના માનવીની કોઈ ફરિયાદ ટલ્લે ન ચડે અને સમાસ્યાનું નિરાકરણ ત્વરીત આવે તે માટે મુખ્યમંત્રી મક્કમ
ગાંધીનગર:
કોમન મેનની પ્રતીતિ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોક કલ્યાણકારી નિર્ણયો લઈને લોકપ્રિય બન્યા છે અને સચિવાલયના દરવાજા પણ સામાન્ય નાગરિકો માટે ખોલી નાખ્યા છે. અગાઉ સચિવાલયમાં ભારેખમ વાતાવરણ રહેતું હતું અને દૂર દૂરથી પોતાની રજૂઆતો અને સમસ્યાઓ લઈને આવતા નાગરિકોને ધરમના ધક્કા પડતા હતા પણ હવે એ ભૂતકાળ બની ગયો છે. મુખ્યમંત્રી તરીકે બીજી વાર શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે હવે લોકો સીએમઓ કાર્યાલય સાથે સીધા જાેડાય તે માટે આજે નવું પગલું ભર્યું છે. દૂર દૂરથી લોકોને પોતાની સમસ્યા અને ફરિયાદો માટે ગાંધીનગર લાંબા થવું ન પડે તે માટે આજથી એક નવી સુવિધા અમલી બનાવવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બન્યા પછી અનેક લોક કલ્યાણકારી નિર્ણયો લઈને કોમન મેનની પ્રતીતિ કરાવી છે. મુખ્યમંત્રી અગાઉ પ્રોટોકોલ તોડીને પણ ચાય પે ચર્ચા કરતા પણ નજરે પડે છે તો એ જ મુખ્યમંત્રી કાર્યકરો સાથે પણ બેસી જાય છે. પહેલી ટર્મમાં મુખ્યમંત્રી હતા ત્યારે પ્રોટોકોલ તોડીને વડોદરા પહોંચી ગયા હતા. તાજેતરમાં જ તેઓ અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસે સરપ્રાઈઝ વિઝિટ કરવા પહોંચ્યા હતા. તાજેતરમાં માણસા તાલુકાના વિહાર અને બાપુપુરામાં તેઓ અચાનક પહોંચ્યા હતા અને લોકોની સમસ્યાઓ સાંભળી હતી. હવે આજથી મુખ્યમંત્રી દ્વારા એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. સીએમઓ કાર્યાલય દ્વારા આજથી વોટસએપ નંબર-૭૦૩૦૯૩૦૩૪૪ શરૂ કરવામાં આવ્યો છે. આ વોટસએપ ઉપર અરજદારો પોતાની રજૂઆતો, ફરિયાદો અને અરજી કરી શક્શે અને તેમની રજૂઆતો મુખ્યમંત્રી સુધી પહોંચશે અને ત્વરીત નિરાકરણ પણ લાવવામાં આવશે.