Apna Mijaj News
અન્યાય સામે અવાજ

બુંદેલખંડ એક્સપ્રેસ બાદ મહેસાણા અંડર પાસ ચર્ચામાં

ભક્તો ચોમાસાના ‘મામા’ ની જેમ અંડર બ્રિજમાંથી પાણી ઓસર્યા પછી ફાયદા સમજાવવા નીકળી પડ્યાં!

બાંધકામંત્રી પૂર્ણેશ મોદીએ પણ અંડર પાસમાં ભરાયેલું પાણી થોડા કલાકમાં ઉતરી ગયાનું ટ્વિટ કરી જણાવ્યું

પ્રધાનમંત્રીએ બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુક્યો ને બે દિવસમાં તૂટી ગયાના અહેવાલથી હલચલ મચી હતી

•મુખ્યમંત્રીએ અંડર પાસનું લોકાર્પણ કર્યું, કહેવાયુ હતું કે પાણી નહીં ભરાય તેવી સુવિધા કરી છે. પણ આ તો…

સંજય જાની (અપના મિજાજ ન્યુઝ-અમદાવાદ)

     ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં 14,800 કરોડના ખર્ચે બનેલા એક્સપ્રેસ હાઈવેનું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 16 જુલાઈએ લોકાર્પણ કર્યું હતું. જે એક્સપ્રેસ હાઈવે લોકાર્પણ થયાના પાંચમા દિવસે એટલે કે 21 જુલાઈના ભારે વરસાદના કારણે તૂટી જવાની ખબર અખબારો અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની સાથોસાથ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચામાં રહી હતી. એ જ રીતે ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણામાં નિર્માણ કરવામાં આવેલા અંદાજે 147 કરોડના અંડર પાસ બ્રિજનું તા. 20 જુલાઈના લોકાર્પણ કર્યું હતું. બ્રિજના લોકાર્પણ વખતે કહેવાયું હતું કે અહીં એવી સુવિધા ઉભી કરવામાં આવી છે કે વરસાદી પાણી ભરાશે નહીં. વરસાદી પાણી આવશે તો પણ જે પ્રમાણે સુવિધા ઉભી કરાઈ છે તે મુજબ તે પાણી સીધું ખારી નદીમાં જઈ પડશે. પરંતુ આજે તા. 24 જુલાઈના એટલે કે બ્રિજના લોકાર્પણ થયાના ચોથા દિવસે મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ધીમી ધારે વરસેલા વરસાદના પાણી મોટા પ્રમાણમાં અંદર બ્રિજમાં ભરાઈ જતાં કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાની વાત સાથે સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં ચર્ચાની ભારે ધૂમ મચી હતી.

    મહેસાણામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા અંડર પાસને લઈ વિપક્ષના કાર્યકરો તેમજ અમુક જાગૃત નાગરિકોમાં અનેક પ્રકારે જાહેર તેમજ છાનો રોષ પ્રગટ થતો રહ્યો છે. અંડર પાસના લોકાર્પણ સમયે મુખ્યપ્રધાન, બાંધકામ મંત્રી, મહેસાણાના ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં અંડર પાસ નિર્માણમાં શું શું ખાસિયત છે તેની જાણકારી આપવામાં આવી હતી. એટલું જ નહીં લોકાર્પણની પત્રિકામાં પણ શંકાસ્પદ મુદ્દાઓ લોક માનસમાંથી હટી જાય તે માટે બ્રિજમાં ભરાતું વરસાદી પાણી કઈ રીતે નિકાલ થઈ શકશે તેની પણ જાણકારી આપવામાં આવી છે. જોકે સરકારના નેતાઓ, બાંધકામ વિભાગના અધિકારીઓ દ્વારા વરસાદી પાણી મુદ્દે જે બાબત સ્પષ્ટ કરવામાં આવી હતી તેનું સુરસુરીયું લોકાર્પણના ચોથા દિવસે જ મેઘરાજાએ કરી નાખ્યું હતું. જિલ્લામાં અંદાજે સાડા પાંચ થી છ કલાક ધીમીધારે વરસેલા વરસાદમાં અંડર પાસ વરસાદી પાણીથી ભરાઈ જતા સ્વિમિંગ પુલના દ્રશ્યો સર્જાયા હતા. અંડર પાસનો નજારો જોવા માટે શહેરીજનો મોટા પ્રમાણમાં અંડર પાસ પાસે ઉમટી પડ્યા હતા અને પોતાના મોબાઈલ ફોનમાં અંડર પાસમાં ભરાયેલા વરસાદી પાણીના દ્રશ્યો જેને બીજા અર્થમાં કહી શકાય કે સરકાર અને તંત્રની લોલમલોલનો પર્દાફાશ કંડારીને સોશિયલ મીડિયાની વિવિધ સાઇટો ઉપર તરતો મૂકી કટાક્ષના બાણ ચલાવ્યા હતા.

 

અંડર પાસમાં બે પાંચ કલાકે પાણી ઓંસરી ગયા બાદ ભક્તો ચોમાસાના ‘મામા’ની જેમ બહાર આવ્યાં

     અંડર પાસમાં ગોઠણ ડૂબ વરસાદી પાણી ભરાઈ જતાં જિલ્લા સહિત રાજ્યના લગભગ તમામ સમાચાર માધ્યમોએ આની નોંધ લીધી હતી. એટલું જ નહીં જનતાએ 147 કરોડ રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા તેવી વાત કરીને વિવિધ પ્રકારે કટાક્ષો કરી સોશિયલ મીડિયામાં રાડ બોલાવી હતી. બીજી તરફ અંદાજે ચાર પાંચ કલાક પછી બ્રિજના પાણી ઓસરી જતા અમુક ભાજપના કહેવાતા કાર્યકરો ચોમાસાના ‘મામા’ની જેમ બહાર નીકળી પડ્યા અને વિડીયો બનાવી અંડર બ્રિજમાં પાણી ઓસરી ગયા છે તેવું બતાવી બ્રિજ કેટલો ફાયદાકારક છે તે સમજાવવા વિડીયો-ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કર્યા હતા. જોકે આ બાબતે રાજ્યના બાંધકામંત્રી પુર્ણેશ મોદીએ પણ અંડર બીજમાં ભરાયેલું વરસાદી પાણી કલાકમાં ઓસરી ગયું હોવાનો ખુલાસો ટ્વીટરના માધ્યમથી કર્યો હતો.

બે પાંચ કલાકે અંડર પાસમાંથી પાણી ‘ઓસરી’ ગયાં તે મુદ્દો નથી પરંતુ પાણી ‘ભરાયા’ તે મુદ્દો વધારે ચર્ચાસ્પદ 

ભાજપના કાર્યકરો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડર પાસમાં ભરાયેલા વરસાદના પાણી બે પાંચ કલાક પછી ઓસરી ગયા અને અંડર પાસમાં એક ટીંપુ પણ પાણી ભરાયેલું નથી તે બતાવવા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરતા જોવા મળ્યા છે. એટલું જ નહીં તેઓએ વિપક્ષી કાર્યકરો તેમજ સમગ્ર બાબતને ઉજાગર કરનાર લોકોને એ પછી જનતા હોય કે પત્રકારો હોય તેમના પર આંગળી ચીંધી અંડર પાસ બ્રિજમાં વરસાદી પાણી ભરાયાનું સવારથી જે ‘ગતકડું’ ચાલી રહ્યું છે તેવા શબ્દ પ્રયોગ કરી સત્યને જૂઠ સાબિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ વરસાદી પાણી અંડર પાસમાંથી ઓસર્યા તે મૂળ મુદ્દો નથી પરંતુ તેના લોકાર્પણ વખતે કહેવામાં આવેલી બાબત “અંડર પાસમાં વરસાદી પાણી ભરાશે નહીં, પાણી ભરાશે તેનો તાત્કાલિક નિકાલ થઈ જશે, જે તાત્કાલિક નિકાલ ન થયો તે મૂળ મુદ્દો છે.”એટલે જનતા અને સમાચાર માધ્યમોએ જે બન્યું હતું તે હકીકત દર્શાવી છે. જેને ભક્તો ગતકડું કહી રહ્યા છે. તે ગતકડું નહીં પરંતુ રૂ.65.65 કરોડમાં બનનારો અંડર પાસ 147 કરોડમાં તૈયાર થયા પછી પણ સુવિધા સભર ન હોય તો ગેરરીતિના આવરણ તેના ઉપર ચડ્યા હશે તે માની લેવું જરાય ખોટું નથી. તેવી ચર્ચા પણ આમ જનતામાં ઉઠી છે.

ભક્તો જેને ગતકડું ગણાવે છે, તે અંડર પાસનો મુદ્દો જનતાના મોબાઇલ સ્ટેટસ, સોશિયલ મીડિયામાં છવાયેલો રહ્યો

    મહેસાણામાં 147 કરોડના ખર્ચે બનેલા અંડર પાસમાં પાણી નહીં ભરાય તે પ્રકારની સુવિધા ઉભી કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમ છતાં બે પાંચ કલાક માટે ગોઠણ ડૂબ પાણી ભરાયેલું રહ્યું અને નવો અંડર પાસ સ્વિમિંગ પુલ બની ગયો આ પ્રકારના અનેકવિધ કટાક્ષ સૂત્રો સાથેના ફોટો- વિડિયો મહેસાણા શહેર કે જિલ્લાભરના લોકો સહિત વિદેશોમાં વસતા જિલ્લા વાસીઓના મોબાઇલ ફોનના સ્ટેટસ અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની સાઈટો પર ધૂમ મચાવતા જોવા મળ્યા હતા. શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓમાં નોકરી કરતા કર્મચારીઓના પણ મોબાઈલ સ્ટેટસમાં અંડર પાસમાં પાણી ભરાયાનો મુદ્દો હિલોળા લેતો જોવા મળ્યો હતો. ભક્તો અંડર પાસમાંથી પાણી ઓસર્યા પછી વિડીયો બનાવીને જે ફાયદા બતાવી ખુલાસો કરી રહ્યા હતા તેઓએ લાખોની જનમેદની અને સમાચાર માધ્યમના અહેવાલને ગતકડું ગણાવી બ્રિજ નિર્માણમાં થયેલી ગેરરીતીને છુપાવવા પ્રયાસ કર્યો હોવાની ચર્ચા હવે જોર પકડી રહી છે.

Related posts

આશા વર્કરોના ગાંધીનગરમાં આકરા તેવર…

ApnaMijaj

હેતલ ‘હેત’ વરસાવતી રહી છતાં માણસાના રાજુએ “માણસાઈ” ને મારી નાખી…

ApnaMijaj

AMTS બસના ચાલકની શાન ઠેકાણે લાવો…

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!