• નિઃશુલ્ક રજિસ્ટ્રેશન કરાવીને સગર્ભા બહેનો લઈ શકશે ભાગ
•હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારનું વિશેષ મહત્ત્વ
•સીમંતોન્નયન સંસ્કાર એ ત્રીજા ક્રમના સંસ્કાર
ગાંધીનગર:
તેજસ્વી બાળકના જન્મ થકી તેજસ્વી રાષ્ટ્રના નિર્માણના હેતુથી કાર્યરત્ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બીજી જૂનને ગુરુવારે સામુહિક સીમંતોન્નયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી થનારી આ સંસ્કારવિધિમાં છઠ્ઠા કે સાતમા માસની ગર્ભાવસ્થાવાળી કોઈપણ બહેનો નિઃશુલ્ક ભાગ લઈ શકશે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ હર્ષદભાઈ શાહની પ્રેરણાથી અને કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શન મુજબ, તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રના વડા ડૉ. રાકેશ પટેલની રાહબરીમાં યુનિવર્સિટી ખાતે સામુહિક સીમંતોન્નયન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી જૂનના રોજ સવારે ૯.૩૦ કલાકે યુનિવર્સિટીના શિક્ષક જયદેવ ધાંધિયા શાસ્ત્રોક્ત પદ્ધતિથી આ સંસ્કાર કરાવશે. જેમાં યુનિવર્સિટીના ગર્ભસંસ્કાર કેન્દ્રમાં આવતી બહેનો જોડાશે. ઉપરાંત છઠ્ઠા કે સાતમા માસની ગર્ભાવસ્થાવાળી કોઈપણ બહેનો આ સીમંતોન્નયન સંસ્કારમાં ભાગ લઈ શકશે. આ માટે તેમણે યુનિવર્સિટી ખાતે નામ-નોંધણી કરાવવાની રહેશે. આ કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ. વૃંદન જયસ્વાલ તથા સહસંયોજક તરીકે રાજશ્રીબહેન પટેલ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ સંસ્કારવિધિ અંગે ડૉ વૃંદન જયસ્વાલ કહે છે કે, હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારનું વિશેષ મહત્ત્વ છે. જેમાં સીમંતોન્નયન સંસ્કાર એ ત્રીજા ક્રમના સંસ્કાર છે. બાળક ગર્ભમાં છ કે સાત માસનું હોય ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે. સગર્ભા સ્ત્રી અને નવજાત શિશુનું અભિવાદન કરવા તેમજ આવનારા બાળકની દીર્ધાયુ, બૌદ્ધિક વિકાસ, સગર્ભા સ્ત્રીની પ્રસન્નતા અને મનોકામના પૂર્ણ થાય તે હેતુથી આ સંસ્કાર કરવામાં આવે છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા યોજાનારા આ સીમંતોન્નયન સંસ્કારમાં જોડાવા સગર્ભા બહેનોને આમંત્રિત કરવામાં આવે છે.